પુસ્તક સમીક્ષા : “સાંધ્યદીપ” – વિનેશ અંતાણી
કેટલાક પુસ્તકો માત્ર વાંચવામાં નથી આવતા, પરંતુ અનુભવવામાં આવે છે. “સાંધ્યદીપ” એવું જ એક પુસ્તક છે. આ પુસ્તક વિશે વાત કરવાની ઇચ્છા પણ થોડુંક એ કારણે થઈ કે થોડા સમય પહેલાં હું કોઈ એક એવી વ્યક્તિ સાથે લગભગ પાંચેક કલાકનો સમય વિતાવીને આવી છું. એ સમય, એ વાતો અને એ અનુભૂતિઓ પછી જ્યારે આ પુસ્તક હાથમાં આવ્યું ત્યારે લાગ્યું કે આ કથાના કેટલાક અંશો જાણે મારા મનમાં ચાલતી વિચારસરણી સાથે ક્યાંક સાંકળાઈ જાય છે.
ગુજરાતી વાંચવું મારા માટે માત્ર એક અભ્યાસ નથી, પરંતુ એક શોખ અને લાગણી પણ છે. જ્યારે ગુજરાતી સાહિત્ય વાંચીએ ત્યારે ઘણીવાર એવું લાગે છે કે આપણે બીજા કોઈના જીવનની વાર્તા નથી વાંચતા, પણ પોતાના મનના કોઈ અજાણ્યા ખૂણાને વાંચી રહ્યા હોઈએ. કદાચ એ જ કારણ છે કે સાહિત્ય સાથેનો સંબંધ વધુ આત્મીય બની જાય છે.
વિનેશ અંતાણીનું નામ અગાઉ સાંભળેલું હતું, પરંતુ તેમની જાણીતી કૃતિ “પ્રિયજન” પણ હજુ સુધી વાંચી નહોતી. આમ છતાં જ્યારે “સાંધ્યદીપ” હાથમાં આવ્યું ત્યારે એમાં એક અલગ જ પ્રકારનું આકર્ષણ લાગ્યું. કદાચ એનું કારણ એ પણ હશે કે આ પુસ્તક મને એક ખાસ અવસરે ભેટરૂપે મળ્યું હતું. જો કોઈ પૂછે કે કોઈ સાહિત્યપ્રેમીને શું ભેટ આપવી જોઈએ, તો મારા માટે તેનો સૌથી સુંદર જવાબ છે — પુસ્તક.
આ નવલકથાનું ઉપશીર્ષક છે — “ગોધૂલીવેલાએ જીવનના લેખા-જોખા માંડતી નવલકથા.”
ગોધૂલીનો સમય એટલે દિવસ અને રાત વચ્ચેનું સંધિક્ષણ — જ્યાં પ્રકાશ ધીમે ધીમે ઓસરતો જાય છે અને અંધકાર ધીમે ધીમે ઘેરતો જાય છે. માનવીના જીવનમાં પણ એક એવો સમય આવે છે જ્યારે તે પોતાની પાછળ છૂટી ગયેલી ક્ષણો, સંબંધો અને ભૂલોનો હિસાબ કરવાનું શરૂ કરે છે. આ નવલકથા પણ મૂળતઃ એ જ પ્રક્રિયાની વાત કરે છે.
સાહિત્યનું થોડું અધ્યયન કર્યા પછી છીછરું વાંચન ગમતું નથી. અને સાહિત્યના વિદ્યાર્થી તરીકે આપણે શીખ્યા છીએ કે કોઈ કૃતિની સમીક્ષા કરતી વખતે તેના સારા અને નરસા બંને પાસાઓને નિષ્પક્ષ રીતે જોવાનું જરૂરી છે. અંગ્રેજી સાહિત્યના પ્રખ્યાત સમીક્ષક Samuel Johnsonએ કહ્યું છે કે સાચી સમીક્ષા એ છે જે કૃતિના સારા અને નરસા બંને આયામોને ઉજાગર કરે.
આ દૃષ્ટિકોણથી જોવામાં આવે તો “સાંધ્યદીપ” ની વાર્તા ખૂબ જ ઓળખીતી સંભાવનાથી આગળ વધે છે. શરૂઆતથી જ વાંચક અંદાજ લગાવી શકે કે વાર્તા કઈ દિશામાં જશે. આધેડ ઉમરનો એક પુરુષ — સંજય — પોતાના વતનમાં પાછો ફરે છે. વતનમાં પરત ફરવું માત્ર ભૌગોલિક યાત્રા નથી, પરંતુ સ્મૃતિઓ તરફ પાછું વળવાનું એક માનસિક પ્રવાસ છે. એ પોતાના ભૂતકાળને ફરીથી ગોતવાનો પ્રયત્ન કરે છે.
વાર્તાની રચનામાં ઘણા ઓળખીતા તત્વો છે — પત્ની સાથેનું અંતર, બાળકો સાથેનો તૂટેલો સંબંધ, અને વતનમાં પાછા જઈને જુના મિત્રો, સ્વજનો અને કદાચ કોઈ જૂની પ્રેમિકાને મળવાની ક્ષણો. આ બધું મળીને યાદોની એક લાંબી શ્રેણી ઉભી કરે છે. દરેક મુલાકાત જાણે કોઈ જૂના ઘા કે જૂની ખુશીની યાદને ફરી જીવંત કરી દે છે.
સંજય એક લેખક છે, એટલે તેની અંદર સતત વિચાર અને આત્મમંથન ચાલતું રહે છે. તેની પત્ની સાયકોલોજિસ્ટ છે, છતાં બંને વચ્ચે એક અજાણી દૂરી ઉભી થઈ ગઈ છે. નવલકથામાં ઘણીવાર એવું લાગે છે કે પત્નીનું પાત્ર થોડું નકારાત્મક રીતે રજૂ થયું છે — જાણે તે સંજયને સમજી શકતી નથી, જ્યારે સંજય પોતે પણ પોતાના સંબંધોને જાળવી રાખવામાં ક્યાંક નિષ્ફળ રહ્યો છે.
આ નવલકથાનો એક વિચારપ્રેરક સંવાદ છે —
“સુખી જીવન એવું જ હોતું હશે — ન બૌદ્ધિક વાદવિવાદ, માત્ર શાંતિ.”
આ વાક્ય માત્ર એક પાત્રનો વિચાર નથી, પરંતુ આધુનિક સંબંધોની એક ઊંડી વિસંગતિને પણ દર્શાવે છે. શું ખરેખર સુખી જીવનનો અર્થ માત્ર શાંતિ છે? કે પછી વિચારો, ચર્ચાઓ અને મતભેદો પણ જીવનને વધુ જીવંત બનાવે છે? આ પ્રશ્ન વાંચકના મનમાં લાંબા સમય સુધી ગુંજતો રહે છે.
નવલકથાની સૌથી મોટી શક્તિ એનો આત્મમંથનનો સ્વર છે. વાર્તાની ગતિ અને પરિસ્થિતિઓ ઘણીવાર એવી લાગે છે કે આપણે પહેલેથી જ આ પ્રકારની કથાઓમાં જોઈ-સાંભળી છે. એટલે ક્યારેક નવલકથામાં નવીનતાનો અભાવ અનુભવાય છે.
અંતમાં એવું કહી શકાય કે “સાંધ્યદીપ” કોઈ અચાનક ચોંકાવતી કથા નથી, પરંતુ ધીમે ધીમે મનમાં ઉતરતી એક અનુભૂતિ છે. જીવનના ગોધૂલી સમયમાં ઉભેલા એક માણસની આત્મયાત્રા — જેમાં યાદો છે, પસ્તાવો છે, પ્રશ્નો છે અને કદાચ થોડી શાંતિની શોધ પણ છે.
અને કદાચ સાહિત્યનો સાચો હેતુ પણ એ જ છે —
અમને બીજા કોઈની વાર્તા વાંચતા વાંચતા, પોતાના જીવનને થોડું વધુ સમજવામાં મદદ કરે છે.
પરંતુ આ નવલકથા વાંચ્યા પછી મનમાં માત્ર કથાની અનુભૂતિ જ નથી રહી જતી, થોડા પ્રશ્નો પણ ઊભા થાય છે. ખાસ કરીને ગુજરાતી સાહિત્યના પરિપ્રેક્ષ્યમાં.
શું કારણ છે કે ગુજરાતી નવલકથાઓ ઘણીવાર હજુ પણ ગામડા, વતન, ભૂતકાળ અને સંબંધોની યાદોમાં જ ફરી ફરીને અટવાઈ જાય છે? શું આપણું સાહિત્ય હજુ પણ એ જ ઓળખીતા માળખામાં ફરતું રહેવાનું છે?
આધુનિક જીવનમાં જ્યાં ટેક્નોલોજી, વૈશ્વિકતા અને બદલાતા સંબંધોના નવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, ત્યાં ગુજરાતી સાહિત્ય એ દિશામાં કેટલું આગળ વધે છે? શું તે હજુ પણ ગામ અને શહેર વચ્ચેના સંઘર્ષમાં જ અટવાઈ રહેશે?
શું ગુજરાતી લેખકો બંધાયેલા વિષયોથી બહાર આવીને નવા પ્રયોગો અને નવા પ્રશ્નો તરફ આગળ વધશે? કે પછી આપણે એ જ પ્રકારની વાર્તાઓ ફરી ફરી વાંચતા રહીશું?
અને સૌથી મહત્વનો પ્રશ્ન —
શું ગુજરાતી સાહિત્ય પોતાની પરંપરાની મર્યાદાઓને તોડીને નવા સમયની સંવેદનાઓને સ્વીકારવા તૈયાર છે?
કદાચ આ પ્રશ્નોના જવાબો તરત મળવાના નથી. પરંતુ આવા પ્રશ્નો પૂછતા રહેવું પણ સાહિત્યના વિકાસ માટે એટલું જ જરૂરી છે.
હા, ચોક્કસ જ એવું માનવું યોગ્ય નથી કે ગુજરાતી સાહિત્ય માત્ર આટલાં જ વર્તુળોમાં સીમિત છે. કદાચ આ તો માત્ર એક ઝાંખી છે. ગુજરાતી સાહિત્યનો વિશ્વ તો ઘણો વિશાળ છે — જેમાં અનેક સ્વરો, અનેક અનુભવો અને અનેક પ્રયોગો છુપાયેલા હશે.
કદાચ હજુ ઘણું એવું છે જે મને વાંચવાનું, શોધવાનું અને સમજવાનું બાકી છે. કદાચ હજુ અનેક એવી કૃતિઓ હશે જે આ પરંપરાગત બંધનોને તોડી નવા પ્રશ્નો પૂછે છે, નવા અનુભવ આપે છે.
સાહિત્યનું સૌંદર્ય પણ કદાચ એમાં જ છે — કે દરેક વાંચન પછી લાગે છે કે હજુ ઘણું વાંચવાનું બાકી છે.
અને કદાચ એ જ ભાવના સાથે આગળ વધવું જોઈએ — ગુજરાતી સાહિત્યને માત્ર સમજવા માટે નહીં, પરંતુ તેને સતત “ફાંફોસતા” રહેવા માટે.
